ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Sunday, August 2, 2015

ટ્રેક (અભિગમ) બદલો, ટ્રીક (પદ્ધતિ) બદલો (ઉપચારાત્મક શિક્ષણ કાર્યના સંદર્ભમાં)

       વહીવટી દ્રષ્ટિએ ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ ૩૧ ઓગષ્ટે પૂર્ણ થશે. અપગ્રેડ થયેલા આંકડા મોકલી દઈશું. આંકડાનું એકત્રીકરણ થશે. પૃથ્થકરણ થશે, નોંધ લેવાશે, આગામી ગુણોત્સવ વખતે આ બાબતને ધ્યાનમાં લેવાય તેમ થઈ શકે ! આમ, વહીવટી રીતે જે કંઈ થઈ શકે તે થશે અને થઈ પણ રહ્યું છે. પત્રોના માધ્યમથી, મોડ્યુલો અને તાલીમનાં માધ્યમથી, બાયસેગના માધ્યમથી, અનુભવી શિક્ષણવિદો અને વિદ્વાનોના સાક્ષાત્કાર થકી... નવા નવા પ્રયોગો જોવા સાંભળવા મળ્યા છે. શિક્ષકોએ ઉપચારાત્મક કાર્યક્રમ દરમ્યાન અવનવા પ્રયોગો કરી, મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવવા માત્ર જ નહિ પરંતુ પોતાની શાળાનાં બાળકોના શિક્ષણમાં ગુણવત્તા લાવવા સઘન પ્રયાસો પણ કર્યા. કયાંક એવું બન્યું હોય કે મહેનત કરવા છતાં અપેક્ષિત પરિણામ ન પણ મળ્યું હોય !
           ઉપચારાત્મક શિક્ષણ એ એક એવું કાર્ય છે જેની  પ્રક્રિયા સ્વૈચ્છિક રીતે નિરંતર ચાલતી રહે તે અપેક્ષિત છે. શિક્ષક પોતાના વર્ગકાર્ય દરમ્યાન આ બાબત નજર સમક્ષ રાખે તે જરૂરી છે. ઉપચારાત્મક કાર્યની જરૂરિયાત ઊભી થવાનું મૂળ કારણ બાળકોની અનિયમિતતા, વાલીનું સ્થળાંતર, રોજગારીના પ્રશ્નો, ઘર, બાળક કે પશુઓ સાચવવા.. વગેરે વગેરે ખાસ છે. આ બધા જ પ્રશ્નો ઉકેલવા સહેલા નથી છતાં શિક્ષકે પોતાની કક્ષાએ પ્રયત્નો કરવા જ રહ્યાં. રહી વાત હાજર બાળકોની... આ બાળકોમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે શિક્ષકે નૈતિક જવાબદારી સ્વીકારવી રહી. બાળકના શાળા પ્રવેશથી જ હવે કાળજી લેવાનો આ સમય છે.          
          ધોરણ – ૧ થી ૪ માં જે કંઈ થઈ શકશે તે પછીથી થવું ઘણું અઘરું બનતું હોય છે તે ધ્યાનમાં રાખી બાળવિકાસના પ્રારંભિક વર્ષોનો શક્ય તેટલો લાભ શિક્ષકે લેવો જોઈએ. કાચા બાળકો,  જવાબદારી કોની ? એવું ટૂંકુ ને નકારાત્મક વિચારવા કરતા સામૂહિક પ્રયત્નો દ્વારા જે કઈંક પરિણામ મળશે તે હંમેશા  ઉમદા હશે. આચાર્યો જો ચાહે તો મારો અજમાવેલો અને અનુભવેલો વર્ગબઢતીનો પ્રયોગ પોતાની શાળામાં  અજમાવી જુએ !
         પ્રાથમિક વિભાગમાં બાળકને શીખવી દેવાની ઉતાવળ કે ભ્રમ રાખ્યા વગર સૌ પ્રથમ બાળકને સમજવો વધુ જરૂરી છે તે દરેક શિક્ષકે જોવું રહ્યું. બાળકના વર્તન, ટેવો, વલણ, રુચિ શેમાં છે તે પ્રથમ ત્રણ માસમાં શિક્ષક પારખે એ આવશ્યક બાબત છે. જરૂર છે શિક્ષક સાંગોપાંગ બાળકને ઓળખે ! બાળકની નિકટ જવાનો પ્રયાસ કરે ! દરેક શાળામાં ધૈર્યવાન, પ્રયોગશીલ, બાળમનોવિજ્ઞાનથી પરિચિત અને સંવેદનશીલ શિક્ષક પાયાના ધોરણોમાં કામ કરે એવી વ્યવસ્થા થવી જોઈએ. આચાર્યો પાયાના ધોરણોને મહત્વ આપતા થશે ત્યારે પરિવર્તન જરૂર આવશે. પાયાના ધોરણોની ઉપેક્ષા એ આજની કહેવાતી ‘ કચાશ ’ નું મહત્વનું  કારણ છે. પાયાના ધોરણોમાં બધા બાળકોને એકસાથે બધું જ શીખવી દેવાનો ભ્રમ પણ મારી દ્રષ્ટિએ અનુચિત અને અપરિપક્વ છે. અહીં પ્રજ્ઞાની થિયરી યોગ્ય રીતે બંધ બેસે છે. દરેક બાળકની શીખવાની ગતિ એકસરખી હોતી નથી. બાળક પોતાની ગતિએ શીખે છે. ધોરણ ૧માં બે મહિનામાં કે ત્રણ મહિનામાં આટલું તો થવું જ જોઈએ એવી અપેક્ષા ન શિક્ષક રાખે, ન આચાર્ય  કે ન મોનીટરીંગ કરનાર ! છતાં જ્યાં શૈક્ષણિક વિકાસ સારો હોય ત્યાં અપેક્ષા કરતા વધુ કામ થતું હોય તો તે આવકાર્ય છે.      
        ઘણીવાર આપણે આપણું મૂલ્યાંકન નોકરીના વર્ષોમાં કરતા હોઈએ છીએ. નોકરીના વર્ષો અને વાસ્તવિક વર્ગ અનુભવોને જોડી ન શકાય. વર્ષોને ગુણવત્તા સાથે કેમ જોડી શકાય ? દરેક શિક્ષકના નોકરીના વર્ષો એ તેની યોગ્યતાનો માપદંડ ન હોય શકે ! દા. ત. મેં નોકરીના ૩૫ વર્ષ પુરા કર્યા છે, પરંતુ તે દરમ્યાન શાળામાં કે વર્ગખંડમાં મારી ઉપલબ્ધિઓ શું ?
·     મેં  મારા વર્ગનાં અથવા મારા હાથ નીચે આવેલા બાળકોને મેં કેવી રીતે અભિમુખ કર્યાં ?
·    જે તે સમયના મારા બાળકોને આગળ લઈ જવા મારા શું પ્રયત્નો હતાં ?
·    મારું સમયપાલન કેવું હતું ?  તે  થકી શાળાના બાળકો પર કોઈ છાપ છોડવામાં હું સફળ થયો છું ?
·      જે તે શાળામાં મારી નિમણુક પછી કોઈ નવીન ફેરફાર કરવા/કરાવવામાં હું સફળ થયો છું?
·     મેં મારી ફરજ દરમ્યાન કેટલી નિષ્ઠા દાખવી છે ?
·    મારા આચરણ થકી શાળાના બાળકોને કે સમાજને કોઈ સુધારાવાદી સંદેશ આપી શક્યો છું  કે  કેમ ?

     આ અને આવા બીજા અનેક તારણોનું મૂલ્યાંકન એ જ મારા કાર્ય, મારી ફરજ અને મારા શિક્ષકત્વની, મારા કામની ગુણવત્તાની ફલશ્રુતિ ! આ સરવાળા – બાદબાકીમાં વર્ષોનો ઢગલો કામ ન લાગે. મારા થાકી ૩૮ કે ૪૦ વર્ષમાં કેટલી માનવ જિંદગી બેઠી થઈ તે અગત્યનું છે.
       શિક્ષકની પોતાના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા એ એના શિક્ષક્ધર્મ – કર્મનો પાયો છે. નિષ્ઠા વગર બધું નકામું. સમયપાલન એ શિક્ષક વ્યવસાયનું પહેલું પગથિયું છે. એમાં ક્યાંય બાંધછોડ કરવાપણું ન હોય શકે. શાળામાં મોડા આવી વધારે કામ કર્યાનો દાવો કરવો એ ઘર બાળીને તીરથ કરવા જેવું છે. જે શિક્ષકો પ્રાથમિક શાળામાં કામ કરે છે ત્યાં બાળકો જ શિક્ષકનો અરીસો છે. જે શિક્ષકનું HD પ્રતિબિંબ આપે છે. ધોરણ ૮ થી જેમ ઉતરતા ક્રમે જતાં જઈએ તેમ આ  અરીસો સારામાં સારું અને નિર્મળ HD પ્રતિબિંબ આપે છે. શિક્ષકના કાર્યનો, માયાનો, મમતાનો અને આંતરિક વ્યવહારનો જીવંત પુરાવો એટલે બાળકો ! પ્રાથમિક શિક્ષકે જે કોઈ આચારસંહિતા પાળવી પડતી હોય તેનું મૂળ કારણ શાળાના બાળકો છે. શિક્ષકના દીઠા – અદીઠા વર્તનની બાળકો પર ઊંડી અને ન ભૂંસી શકાય તેવી છાપ પડતી હોય છે.
          શિક્ષકે શાળાના ૧૦૦ કામ કરતા જઈને પણ અંતિમ પ્રાયોરિટી તો વર્ગકાર્યને જ આપવી જોઈએ. શાળાના કામના કારણ હેઠળ કોઈપણ શિક્ષક છૂટછાટ લે, તે પોતાના વર્ગના બાળકો સાથે તો સીધો અન્યાય જ છે. બીજી રીતે વિચારીએ કે જો આમ જ હોય તો પછી શાળાના કામ ન કરવા? આચાર્યને મદદરૂપ ન થવું ? હા, ચોક્કસ મદદ કરવી. આચાર્યને શાળાના કામમાં સંપૂર્ણ સહકાર એ શિક્ષકની બીજા પ્રકારની ફરજ છે તેને અદા કરવી એ પણ શિક્ષક્ધર્મ જ છે. સવાલ છે નીતિમત્તાનો ! કામ ચીંધનાર અને કામને અનુસરનાર બંને જાગૃત હોય તો બંનેની જાગૃતિ થકી વર્ગમાં બાળકોને ન્યાય અવશ્ય આપી શકાય. શિક્ષકનું મૂળ કાર્ય, શિક્ષકની મૂળભૂત ફરજ બાળકોને તેની કક્ષા અનુસાર શિક્ષા અને દીક્ષા આપવાની છે. બાળકોને અસરકારક અક્ષરજ્ઞાન મળે તે માટે શિક્ષકે સતત મથતાં રહેવું જોઈએ.     
              સાંપ્રત સમયમાં નવા નવા પ્રયોગો થકી બાળકોને શીખવવા કરતાં શીખવાની તક આપવાની જરૂર છે. વર્ષો સુધી આપણે ભણાવ્યું હશે અને ભણનારા ભણી ગયાં એની પણ ના નથી. પરંતુ મિત્રો, મારા ખ્યાલથી આજનાં બાળકો વધુ સ્માર્ટ, ચબરાક અને હોંશિયાર છે. પછી તે ગામડાનાં હોય કે શહેરના ! તેઓને ભણાવવા કરતાં ભણવાની તક પૂરી પાડવી એ હવે વધારે અગત્યનું અને આવશ્યક છે. શિક્ષકે હવે બાળકના ભણવા માટેના સંજોગો ઉભા કરતા શીખવું પડશે. વર્ગખંડમાં નવી તકો ઉભી કરતાં શીખવું પડશે. આ બધું કરવા શિક્ષકે વર્ષો જુના કોચલા (આવરણ) માંથી બહાર આવવું પડશે. ભૂતકાળ ને વર્તમાન સાથે સરખાવવા કરતાં વર્તમાનને જ વધુ સમજવાની આવશ્યકતા હવે વધતી જાય છે. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જે પરિવર્તન નથી સ્વીકારી શકતો તે મુખ્ય પ્રવાહથી બહાર ફેંકાઈ જાય છે એ પ્રકૃતિનો નિયમ છે. શિક્ષકનું કાર્ય એ જીવિત માનવ જિંદગી સાથે જોડાયેલું એક સેન્સીટીવ એવું પુનિતકાર્ય છે.
          આજે મોટાભાગનાં શિક્ષકોએ ટ્રેક બદલવાની જરૂર છે. હાલનાં સંજોગોમાં શિક્ષકો ટ્રેક બદલી શકે તો ઇચ્છિત પરિણામ લાવી શકાય તેમ છે. ટ્રેક બદલવો મતલબ અભિગમ બદલવો. વાત બહુ નાની કે ક્ષુલ્લ્ક લાગે પણ મિત્રો હકીકતમાં તેમ નથી. શિક્ષક દિલથી પોતાનો અભિગમ બદલે ! પોતે હરદમ નવું શીખવા માટે તત્પર રહે. સામેવાળો શિક્ષક પોતાનાથી નાનો છે યા મોટો, જુનિયર છે કે સિનીયર એની પળોજણમાં પડ્યા વગર પોતાના બાળકો માટે, પોતાની શાળા માટે શું ઉત્તમ છે તે મેળવવાનો નિરંતર પ્રયાસ કરતાં રહેવું જોઈએ. આ વાત ભલે નાની લાગે પણ મિત્રો આત્મા જાગતો નથી ત્યારે આવી નાની લાગતી વાતોને અનુસરતાં પણ વર્ષોના વર્ષો નીકળી જાય છે. અભિગમ બદલવા શિક્ષકે પોતાના અહંકારને સૌ પ્રથમ નાથવો પડે !
         એક જ શાળામાં કામ કરતા શિક્ષકો વચ્ચેનો  નાનો મોટો અહમ બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ લાવી દે છે.  શિક્ષકો મહેનત જરૂર કરે છે પણ જયારે અભિગમ બદલવાની વાત આવે છે ત્યારે એકબીજાની અવગણના થાય છે. નવી પેઢી જૂની પેઢીની અનદેખી કરે એ ઇચ્છનીય નથી તેમ જૂની પેઢી નવી પેઢીને હતોત્સાહ કરે તે પણ ઠીક નથી. મારું મંતવ્ય કહો, ચિંતન કહો તે એજ કે : “ ચાલો અભિગમ બદલીએ.”
            શિક્ષક ટ્રેક બદલી શકે પછી ટ્રીક (પદ્ધતિ) બદલવી પણ એટલી જ જરૂરી છે. જે શિક્ષકો ટ્રેક (અભિગમ) નથી બદલી શકતા તે ટ્રીક (પદ્ધતિ) પણ નથી બદલી શકતા એ હકીકત છે. શિક્ષકને ગમતી, ફાવતી કે પછી વર્ષો જૂની – લખી નાંખો ને પછી ભૂંસી નાંખો એવી પદ્ધતિ જ શિક્ષક પકડી રાખે એ પણ હવે સ્વીકાર્ય નથી. સમયની માંગ છે. શિક્ષક સદા અપગ્રેડ થતો રહે. વાસી ખોરાક નુકશાન કરે તેમ વાસી શિક્ષક પણ નુકશાન જ કરે ! શિક્ષક હંમેશા તરોતાજા, ખુશનુમા અને ઉત્સાહી રહે.
         શાળામાં જવાનો દરેક દિવસ તેના માટે એક નવા આનંદનો - મઝાનો દિવસ હોવો જોઈએ. બાળકોને મળવાનો, તેમની વચ્ચે સમય ગાળવાનો તેને આંતરિક ઉમંગ હોવો જોઈએ. જીવંત વ્યવસાય સાથે જોડાયેલો શિક્ષક આવો ઉમંગી બને, ઉત્સાહી બને ત્યારે એની શાળામાં અને શાળાના બાળકોમાં પરિવર્તન પણ આવે જ !        
       શાળામાં ભૌતિક સુવિધા વધારવાની વાત હોય કે બાળકોને ગુણવત્તાલક્ષી  શિક્ષણ આપવાની વાત હોય શિક્ષક પોતાનો અભિગમ બદલે એ જરૂરી છે. અભિગમ બદલવાથી જ એકાત્મતા સાધી શકાય છે. જ્યાં એકાત્મતા નથી, ત્યાં ગતિ નથી જ્યાં ગતિ નથી ત્યાં વિકાસ નથી. વિચારોનું આદાનપ્રદાન નવા વિચારોને, નવા આઈડીયાઝને જન્મ આપે છે. આજે ઈન્ટરનેટના યુગમાં એકબીજા સાથે સંપર્કના અનેક નવા રસ્તાઓ ખૂલ્યાં છે. સોશ્યલ મીડિયા દ્વારા પોતાની વાત, પોતાના વિચારો ઘણી બધી વ્યક્તિઓ સુધી એકસાથે ખુબ જ ઝડપથી પહોચાડી શકાય છે. જૂની – નવી પેઢીના શિક્ષકો તેનો વત્તો ઓછો લાભ લઈ રહ્યાં છે. છતાં આ ટેકનોલોજીના  વિકસતા સમયમાં એ સંખ્યા જૂજ કહેવાય. પોતાની કે પોતાની શાળાની શૈક્ષણિક વેબસાઈટ કે બ્લોગ બનાવી નવો ચીલો ચાતરવા નવી પેઢીના શિક્ષકોએ પહેલ કરવી જોઈએ. બાકી વોટ્સએપ પર એકબીજા સાથે અર્થ વગરની કોમેન્ટ પાસ કરી ટેકનોલોજી સાથે જોડાયાનો અહમ રાખવો  એ સમયની બરબાદી છે.  સાર્વજનિક માધ્યમોનો ઉપયોગ કરતી વખતે સંપૂર્ણ આચારસંહિતાનું પાલન થાય એનું  ધ્યાન કમ સે કમ શિક્ષકે તો રાખવું જોઈએ.
       આમ, પણ અનેક બીજા માધ્યમોને કારણે, સમયના અભાવે  કે સહજ રસ ઓછો થવાથી... જે હોય તે પણ પ્રવર્તમાન સમયમાં આપણું વાંચવાનું ઘટી ગયું છે એ હકીકત છે. પરિણામ સ્વરૂપ આજે વિચારોમાં ગતિ નથી. તંદુરસ્ત અને બૌધિક ચર્ચાઓ થતી નથી. બધું જ બંધિયાર પાણી જેવું, એમાં ઝરણાનો કિલકિલાટ નથી, પવિત્રતા નથી. વાંચવાનું તો જરૂર ઘટ્યું છે પરંતુ લખવાની બાબતમાં તો મોટેભાગે સર્વત્ર નિરસતા પ્રવર્તે છે. લખનારા શિક્ષકો ઝડપથી ઘટતા જાય છે. નવી પેઢીના શિક્ષકો  લખવા માટે આગળ આવે ! પ્રાથમિકમાં હવે સ્પેશિયલ ભાષા શિક્ષકો નિમાયા છે ત્યારે બાળકોના ભાષાના સ્તરમાં સુધારાની આશા રાખવી વ્યાજબી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભાષા શિક્ષક તરીકે પોતાનું યોગદાન શું તે વિષે વિચારવાનો અને પોતાને અપડેટ કરવાનો આ સમય છે. જે શિક્ષક મૌલિક રીતે થોડું ઘણું પણ લખી નથી શકતો તેના શિક્ષક્ત્વમાં કચાશ એમ માનવું રહ્યું. શિક્ષકે જો અપગ્રેડ થવું હોય તો દરરોજ થોડું વાંચવાની અને આઠ – દસ લીટી મૌલિક રીતે કોઇપણ વિષય કે મુદ્દા પર લખવાની ટેવ કેળવવી જોઈએ. નવી પેઢીના શિક્ષકો ગદ્ય અને પદ્ય બંનેમાં રસ લે. સાંભળેલા કે વાંચેલા વિચારોને મમળાવવાની (ચિંતન) ટેવ કેળવ્યા બાદ જ લખવા માટે વિચારોની સ્ફૂરણા જાગે છે. સારા વક્તા બનવા જેમ સારા શ્રોતા બનવું જરૂરી છે. તેમ સારું લખવા સારું ચિંતન કરવાની એટલી જ જરૂર છે. કોઇપણ વિષયનો શિક્ષક સૌ પ્રથમ ભાષાપ્રેમી હોવો જોઈએ. જો તેમ થશે તો જ તે પોતાના વિદ્યાર્થીઓને અસરકારક જ્ઞાન આપી શકશે
         શિક્ષણમાં આજની સાર્વત્રિક જરૂરિયાત છે : શિક્ષક બાળકોને પોતાના વર્ગકાર્ય  દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં વિષય કે મુદ્દાને અનુરૂપ વાસ્તવિક - પોતે અનુભવેલા અનુભવો પૂરા પાડે.  આજુબાજુનું પર્યાવરણ, લોકજીવન, રીતરીવાજો, ધાર્મિક પરમ્પરાઓ, સામાજિક તાણાવાણા, ભૌગોલિક બાબતો, ભાષાઓ – બોલીઓ, આરોગ્ય, ગ્રામ્યજીવન – શહેરીજીવન, પશુ –પક્ષી અને પ્રાણીઓની દિનચર્યા, ખેડૂત – મજુરની દિનચર્યા, માનવજીવન, ખગોળીય બાબતો, નદી – ઝરણા –ડુંગર –પર્વત –ખીણ – તળેટી – રણ – જંગલ – સમુદ્ર – માછીમારોનું જીવન – અગરિયાઓ, રોડ – રસ્તા – મકાનો બનાવતા કારીગરો – પ્રાણી –પશુ – જળચરોની વિસ્મયકારક દુનિયા, વનસ્પતિજગત, નિરંતર સ્થળાંતર કરતા પરિવારોનું જીવન...... આવા તો અનેક વિષયો શીખવવાનાં મુદ્દા સાથે કલાત્મક રીતે જોડીને શિક્ષક બાળકોને શીખવે ત્યારે એ મુદ્દો બાળક માટે ચિરસ્થાયી બને જ બને ! પછી એ વિષય ગણિત કેમ ન હોય ?

       વર્ગ ઉપર ધાક જમાવનારો, બાળકોને ચોક્કસ મુદ્રામાં બાંધી રાખનારો, લશ્કરી શિસ્તમાં માનનારો, બાળકોને ભયભીત કરનારો, બાળકોને પોચટ વિચારો આપનારો, બાળકના વિચારોને દબાવી દેનારો, બાળ મનોવિજ્ઞાનથી અપરિચિત, સ્થાનિક પરિસ્થિતિની અવહેલના કરનાર, બાળકોના વ્યક્તિત્વને છેહ દેનારો, બાળકોની અવગણના કરનારો, બાળકોને સમજી ન શકનાર, નવા વિચારો અને વાચનથી પર રહેનારો અને અપૂર્ણ વક્તા.. એવો  શિક્ષક અસરકારક શિક્ષણ ક્યારેય ન આપી શકે ! શિક્ષણની અસરકારકતા માટે, ગુણવત્તા માટે અને ઉપચારાત્મક કાર્યના નિર્મૂલન માટે શિક્ષકો પહેલા ટ્રેક (અભિગમ) બદલે, પછી ટ્રીક (પદ્ધતિ) બદલે !
આભાર મિત્રો....   

                                           -     રમેશ પટેલ

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...